બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. હજુ સુધી ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તેની પહેલાં ભાજપે મતદારોને આકર્ષિત કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે શ્રેણીમાં હવે ભાજપ 9 ઓક્ટોબરથી એસસી બેઠકો જીતવા માટેના મિશન પર નીકળવાની છે. 9 ઓક્ટોબરે વાલ્મિકી જયંતિના દિવસથી ભાજપ પંચતીર્થ પરિક્રમાની શરૂઆત કરશે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત એસસી મોરચાના કેન્દ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે.
13 SC બેઠક સહિત કુલ 92 બેઠકો આવરી લેવાશે:
પૂર્વ સાંસદ અને ભાજપના નેતા શંભુપ્રસાદ ટુંડિયાએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે પંચતીર્થ પરિક્રમા ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરશે. જેમાં 13 એસસી બેઠક સહિત કુલ 92 બેઠકો આવરી લેવામાં આવશે. એસસી મતદારોથી પ્રભાવિત બેઠકો પર ભાજપના નેતાઓ પહોંચશે. જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડશે. આ પરિક્રમા 21 દિવસ સુધી બે તબક્કામાં ચાલશે. આ પરિક્રમામાં કોંગ્રેસે ડૉ.બાબાસાહેબ આંબેડકરને કરેલા તમામ નિર્ણયો અને ગરીબ કલ્યાણની યોજનાઓની વાત કરશે.
કઈ-કઈ SC બેઠકો પર પરિક્રમા જશે:
1. ગાંધીધામ, કચ્છ
2. વડગામ, બનાસકાંઠા
3. ઈડર, સાબરકાંઠા
4. કડી, મહેસાણા
5. દાણીલીમડા, અમદાવાદ
6. અસારવા, અમદાવાદ
7. દસાડા,સુરેન્દ્રનગર
8. રાજકોટ ગ્રામ્ય, રાજકોટ
9. કાલાવડ, જામનગર
10. કોડીનાર, જૂનાગઢ
11. ગઢડા, ભાવનગર
12. વડોદરા શહેર, વડોદરા
13. બારડોલી, સુરત
2017માં કોંગ્રેસે 6 અને ભાજપે જીતી હતી 7 બેઠક:
ભાજપ આ વખતે SCની તમામ 13 બેઠક જીતવા માગે છે. માટે પંચતીર્થ પરિક્રમાનું આયોજન કર્યુ છે. કેમ કે 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ખાતામાં 7 બેઠક આવી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં 5 બેઠક અને એક અપક્ષના ફાળે આવી હતી. કોંગ્રેસે દાણીલીમડા, દસાડા, કોડીનાર, ગઢડા, કાલાવડ બેઠક જીતી હતી. જ્યારે વડગામ બેઠક જિગ્નેશ મેવાણીના ખાતામાં આવી હતી. ભાજપે ગાંધીધામ, ઈડર, કડી, અસારવા, રાજકોટ ગ્રામ્ય, વડોદરા શહેર અને બારડોલી બેઠક જીતી હતી.
2017માં કયા ઉમેદવારનો થયો હતો વિજય:
ગાંધીધામ-
ભાજપના માલતીબેન મહેશ્વરીનો વિજય
વડગામ-
અપક્ષના જિગ્નેશ મેવાણીનો વિજય
ઈડર-
ભાજપના હિતુ કનોડિયાનો વિજય
કડી-
ભાજપના પૂંજાભાઈ સોલંકીનો વિજય
દાણીલીમડા-
કોંગ્રેસના શૈલેષ પરમારનો વિજય
અસારવા-
ભાજપના પ્રદીપ પરમારનો વિજય
દસાડા-
કોંગ્રસના નૌશાદ સોલંકીનો વિજય
રાજકોટ ગ્રામ્ય-
ભાજપના લાખાભાઈ સાગઠિયાનો વિજય
કાલાવડ-
કોંગ્રેસના પ્રવીણ મૂછડિયાનો વિજય
કોડીનાર-
કોંગ્રેસના મોહન વાળાનો વિજય
ગઢડા-
કોંગ્રેસના પ્રવીણ મારુનો વિજય
વડોદરા શહેર-
ભાજપના મનીષા વકીલનો વિજય
બારડોલી-
ભાજપના ઈશ્વરભાઈ પરમારનો વિજય થયો હતો. હાલ તો ભાજપે આ તમામ બેઠકો જીતવાની તૈયારી કરી છે. ત્યારે એ જોવાનું રહેશે કે ભાજપ એસસી મતદારોને પ્રભાવિત કરવામાં કેટલું સફળ થાય છે અને કેટલી સીટો જીતે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે